Sunday, June 30, 2013

sloak

 દાદીની પ્રસાદી-૧ 
જેમ આજે આપણી માતૃભાષા ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે જોતાં સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો જ્ઞાનનો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે. આ પ્રસાદીને સુપાચ્ય બનાવવા પ્રત્યેક કંડિકાની સાથે સાથે તેના ગુજરાતીમાં ભાવાર્થનું અનુપાન પણ રજૂ કરાયું છે.

આ પ્રસાદીને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. અત્રે પ્રથમ ભાગ રજૂ કરાયો છે. પ્રથમ ભાગમાં પ્રાર્થનાઓ તથા ‘અ’ થી ‘અઃ’ સુધી અને ‘ક’ થી ‘ધ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદી છે. જ્યારે બીજા વિભાગમાં ‘ન’ થી ’જ્ઞ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદી અપાઈ છે. બીજા વિભાગમાં જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ


 છેલ્લો ફેરફાર: તા. ૪ એપ્રિલ, ૨૦૧૦ 
  1. असतो मा सदगमय।
    तमसो मा ज्योतिर्गमय।
    मृत्योर्मामृतम् गमय॥


  2. (બૃહદારણ્યક ઉપનિષદ)
    [અસત્યોમાંથી  પ્રભુ પરમ સત્યે તું લઈ જા
     ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા
     મહામૃ્ત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા]
  3. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।
    पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥


  4. [ઈશાવાસ્ય ઉપનિષદનો આ શાંતિપાઠનો શ્લોક છે. તેનો શબ્દાર્થ છેઃ તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે. આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.]

  5. ॐ भूर्भुव: स्वः तत् सवितुर्वरेण्यं।
    भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥


  6. [આ ગાયત્રી મંત્ર સૂર્ય આરાધનાનો મંત્ર છે. ભાવાર્થ છેઃ હે સર્વોપરી દેવ ! તું જીવનનો આધાર છે, અમારા સર્વ દુઃખ દૂર કરે છે, તું સ્વયં પ્રકાશિત છે, સૌથી વધુ પૂજનીય છે, અમે તારું ધ્યાન ધરી પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર.]

  7. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै।
    तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥
    ॐ शान्ति: शान्ति: शान्ति:॥


  8. રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી
    કરીશું  શ્રમ  સખત અભ્યાસમાં   અમે   ખંતથી
    હો  મેઘા તેજસ્વી  અમારી  એટલું  પ્રભુ આપજો 
    ને સંબંધ સદા  સ્નેહભર્યો  ગુરુ  શિષ્યનો રાખજો
    
  9. त्वमेव माता च पिता त्वमेव
    त्वमेव बंधू च सखा त्वमेव।
    त्वमेव विद्या द्रविणं त्वमेव
    त्वमेव सर्वं मम देव देव॥
  10. [તમે  છો  માતા  પિતા તમે છો
     તમે  છો   બંધુ   સખા તમે  છો
     તમે  છો વિદ્યા વળી ધન સંપત્તિ
     પણ સર્વ મારું તમે  હે દેવ દેવ]
    
  11. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्।
    यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥


  12. [જો તારી કૃપા ઉતરે તો મુંગો માણસ વાચાળ બને છે, અપંગ માણસ પહાડ ઓળંગી જાય છે. હે પરમાનંદ માધવ તને વંદન કરું છું.]

  13. या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
    या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
    या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
    सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥



  14. 
    [સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ
    માળા છે જેની સુંદર જળબિન્દુ સમ
    
    ધવલ વસ્ત્રો  છે  જેને અતિ શોભતા
    વીણાદંડ સોહે   જેના  કર કમળમાં
    વિરામ આસન છે જેનું  શ્વેત પદ્મનું
    
    સદા  વંદન  કરે  જેને  સર્વ  દેવો
    બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ  પૂજ્ય ભાવે
    
    એવી દેવી મા સરસ્વતી દૂર કરજો
    અમ  બુદ્ધિ કુંઠિત કરતા  તિમિરને]

  15. वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ।
    निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा॥


  16. [હે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયા ધરાવતા, અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેજો.]

  17. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्।
    विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्॥
    लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्।
    वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥


  18. [ભગવાન વિષ્ણુની આ સ્તુતિનો ભાવાર્થ છેઃ શાંતિ પમાડતા, નાગની શૈયા ધરાવતા, નાભિમાંથી કમળ પ્રગટાવતા, દેવોના અધિપતિ, વિશ્વના આધારરૂપ, ગગન જેવા વિશાળ, મેઘવર્ણી કાયા અને શુભ અંગો ધારણ કરતા, લક્ષ્મીજીના પ્રિયતમ, કમળસમ નેત્રો ધરાવતા, યોગીઓ ધ્યાન ધરે છતાં તેમના માટે અગમ્ય રહેતા, ભવનો ભય હરનારા, સર્વ લોકના નાથ વિષ્ણુને વંદન હો]

  19. सर्वे भवन्तु सुखिनः।
    सर्वे सन्तु निरामयाः।
    सर्वे भद्राणि पश्यन्तु।
    मा कश्चित् दुःख भाग्भवेत्॥


  20. 
    [સર્વે બની રહો સુખી
    સર્વે બની રહો સ્વસ્થ
    મળે શુભદ્રષ્ટિ  સર્વને
    ન દુઃખ ભોગવે કોઈ]
    

  21. वन्दे मातरम्। वन्दे मातरम्।
    वन्दे मातरम्। वन्दे मातरम्॥
    सुजलाम् सुफलाम् मलयजशीतलाम्।
    शस्यश्यामलाम् मातरम्। वन्दे मातरम्॥
    शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्।
    फुल्लकुसुमितद्रुमदलशोभिनीम्।
    सुहासिनीम्। सुमधुरभाषिणीम्।
    सुखदां वरदाम् मातरं॥ वन्दे मातरम्॥


  22. [વંદુ તુજને મા હો વંદુ તુજને મા
      વંદુ તુજને મા હો વંદુ તુજને મા
    
     છો  સભર  તું  જળથી  ફળથી
     દખણાદી  શીત વાયુ  લહરથી
     પાકેલા  લહેરાતા  ધાન્ય થકી
     સુરત તુજ બની સુંદર શામળી
    
     વંદુ તુજને મા હો વંદુ તુજને મા
     વંદુ તુજને મા હો વંદુ તુજને મા
    
     શુભ્ર  ચન્દ્ર  કિરણથી   ઓપતી
     ખુશહાલ  છે  સૌ  રાત્રિ   તારી
     પુષ્પ  ને  વૃક્ષોથી  લચી રહેલી
     શોભે  છે  કણ  કણ ભૂમિ તારી
    
     મલકાતું  મોં  વદતું મીઠી વાણી 
     ને વરસાવે સદા  સુખ  વરદાન
     વંદુ તુજને મા હો વંદુ તુજને મા
     વંદુ તુજને મા હો વંદુ તુજને મા]
    




  23. अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम्।
    अधनस्य कुतो मित्रं अमित्रस्य कुतः सुखम्॥


  24. [આળસુ માણસને વિદ્યા ક્યાંથી મળે? વિદ્યા વિનાના માણસને ધન ક્યાંથી મળે? નિર્ધન માણસને મિત્ર ક્યાંથી મળે અને મિત્ર વિનાના માણસને સુખ ક્યાંથી મળે?]

  25. अग्नि: शेषं ऋण: शेषं शत्रु: शेषं तथैव च।
    पुन: पुन: प्रवर्धेत तस्मात् शेषं न कारयेत्॥


  26. [અગ્નિ, દેવું અને શત્રુ એ ત્રણનો જરાક અંશ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે માટે તેના અંશને પણ બાકી રહેવા ન દેવાય.]

  27. अग्निहोत्रं गृहं क्षेत्रं गर्भिणीं वृद्धबालकौ।
    रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥


  28. [પવિત્ર અગ્નિ, પોતાનું ઘર, ખેતર, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, બાળકો, રાજા, દેવતા અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું જોઈએ.]

  29. अजरामरवत् प्राज्ञो विद्यामर्थं च साधयेत्।
    गृहीत इव केशेषु मृत्युना धर्मम् आचरेत्॥


  30. [ડાહ્યા માણસોએ જ્યારે જ્ઞાન કે ધન મેળવવાની વાત આવે ત્યારે પોતે અજરઅમર રહેવાના છે એવું વિચારીને વણથંભી સાધના કરવી જોઈએ અને જ્યારે ધર્મનું આચરણ કરવાની વાત આવે ત્યારે મોત ખંભા પર બેસી વાળ ખેંચી રહ્યું છે એમ માનીને તરત ધર્મનું આચરણ કરવું જોઈએ.]

  31. अज्ञश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यति।
    नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः॥


  32. [ભગવદ્ ગીતામાં ભગવાનનો આ ઉપદેશ છેઃ જે અજ્ઞાની છે અશ્રદ્ધાળુ છે અને દરેક વાતમાં શંકા કરે છે તેમનો નાશ થાય છે. શંકાશીલ માણસો માટે આ લોકમાં કે પરલોકમાં કોઈ સુખ નથી.]

  33. अतितृष्णा न कर्तव्या तृष्णां नैव परित्यजेत्।
    शनैः शनैश्च भोक्तव्यं वित्तम् स्वयमुपार्जितम्॥


  34. [ન અતિ તૃષ્ણા કરવી કે ન તૃષ્ણાનો સમૂળગો ત્યાગ કરવો. જાતે કમાયેલી સંપત્તિનો ધીમે ધીમે ઉપભોગ કરવો.]

  35. अतिथि देवो भव।


  36. [અતિથિને ઈશ્વરતુલ્ય ગણી આદર આપવો.]

  37. अतिदानाद्धतः कर्णस्त्वतिलोभात् सुयोधनः।
    अतिकामाद्दशग्रीवस्त्व् अति सर्वत्र वर्जयेत्॥


  38. [અતિ દાનથી કર્ણ પાસે કંઈ ન રહ્યું. અતિ લોભથી સુયોધનની અવદશા થઈ. અતિ ઇચ્છાથી પતન થાય છે માટે કોઈ પણ બાબતમાં અતિશયતાને તજવી. ]

  39. अतिपरिचयादवज्ञा सततगमनात् अनादरो भवति।
    मलये भिल्ला पुरांध्री चंदनतरुकाष्ठम् इंधनम् कुरुते॥


  40. [અતિ પરિચયથી અવજ્ઞા થાય. કોઈને ત્યાં સતત જઈએ તો આવકાર ન મળે. મલય પર્વત પર રહેતી ભીલડીઓ ચંદનને પણ ઈંધણનું લાકડું ગણી ચૂલામાં બાળે છે.]

  41. अतिस्नेहः पापशङ्की।


  42. [કોઈને માટે આપણો વધુ પડતો પ્રેમ આપણાં મનમાં આપણા તે પ્રિય પાત્રની સલામતી માટે ખોટી શંકા પેદા કરે છે. અભિજ્ઞાન શાકુંતલમ્‌નું આ વાક્ય છે.]

  43. अद्यापि दुर्निवारं स्तुतिकन्या वहति नाम कौमारम्।
    सद्भ्यो न रोचते सा असन्त: अपि अस्यै न रोचन्ते॥


  44. [સ્તુતિ નામની કન્યા બિચારી હજુ કુંવારી છે કેમ કે સારા માણસોને એ ગમતી નથી તો જે સારા નથી તે એને ગમતા નથી !]

  45. अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा।
    अनुग्रहश्च दानं च एष धर्मः सनातनः॥


  46. [મન, વચન અને કર્મથી કોઈ જીવનો દ્રોહ ન કરવો, પ્રેમ રાખવો અને ઉદારતાથી દાન આપવું એ સનાતન ધર્મ છે.]

  47. अधमा: धनमिच्छन्ति धनं मानं च मध्यमा:।
    उत्तमा: मानमिच्छन्ति मानो हि महताम् धनम्॥


  48. [નિમ્ન કક્ષાના માણસો ધનની ઇચ્છા રાખે છે. મધ્યમ કક્ષાના માણસો ધન અને માન બન્નેની ઇચ્છા રાખે છે. પણ ઉત્તમ માણસોની ઇચ્છા ફક્ત માન મેળવવાની હોય છે કેમકે માન સૌથી ચડિયાતું ધન છે.]

  49. अनभ्यासे विषं विद्या अजीर्णे भोजनं विषं।
    विषं सभा दरिद्रस्य वृद्धस्य तरुणी विषं॥


  50. [અભ્યાસ ન કર્યે વિદ્યા વિષ સમાન બને છે, જ્યારે પાચન ન થતું હોય ત્યારે ભોજન ઝેર બને છે. સંપત્તિ વિહોણા માટે સભા એટલે કે જાહેરમાં જવું ઝેર જેવું બને છે તો વૃદ્ધો માટે યુવાન સ્ત્રી વિષની ગરજ સારે છે !]

  51. अन्तस्तिमिरनाशाय शब्दबोधो निरर्थकः।
    न नश्यति तमो नाम कृतया दीपवार्तया॥


  52. [મનના તિમિરને મીટાવવા શબ્દોનો બોધ કંઈ કામમાં આવતો નથી. જેમ દીવો, દીવો એવો શબ્દજાપ કરતાં રહીએ તો અંધારું થોડું દૂર થાય છે ?]

  53. अन्नदानं परं दानं विद्या दानम् अतः परम्।
    अन्नेन क्षणिका तृप्तिः यावज्जीवञ्च विद्यया॥


  54. [અન્નદાન ઘણી મોટી વાત છે પણ વિદ્યાદાન તેનાથી પણ મોટી વાત છે. અન્નથી થોડો વખત તૃપ્તિ અનુભવાય છે પણ વિદ્યા વડે આજીવન તૃપ્તિ મળે છે.]

  55. अन्यक्षेत्रे कॄतं पापं पुण्यक्षेत्रे विनश्यति।
    पुण्यक्षेत्रे कॄतं पापं वज्रलेपो भविष्यति॥


  56. [અન્ય ક્ષેત્રે કરેલું પાપ તીર્થમાં જઈ ધોઈ શકાય છે. પણ તીર્થક્ષેત્રમાં જો પાપ કરીએ તો તે વજ્રલેપ બની જાય છે.]

  57. अपमानितोऽपि कुलजो न वदति पुरुषं स्वभावदाक्षिण्यात्।
    नहि मलयचन्दनतरु: परशुप्रहत: स्रवेत् पूयम्॥


  58. [કુહાડીથી પ્રહાર થવા છતાં મલય પર્વત પર ઊગતા ચંદનના વૃક્ષમાંથી જેમ નકામો પદાર્થ બહાર આવતો નથી તેમ અપમાન થવા છતાં કુળવાન માણસો પોતાનું સૌજન્ય છોડી જેમ તેમ બોલતા નથી.]

  59. अपि क्रियार्थं सुलभं समित्कुशम्
    जलान्यपि स्नानविधिक्षमाणि ते ।
    अपि स्वशक्त्या तपसि प्रवर्तसे
    शरीरमाद्यं खलु धर्मसाधनम् ॥


  60. [કાલિદાસ કૃત કુમારસંભવમ્ સર્ગ-૫-૩૩. યજ્ઞ કરવા માટે સમીધના ટૂકડાં અને કુશ ઘાસ સહેલાઈથી મળે છે ? સ્નાન માટે પાણી યોગ્ય છે ? તમે તમારી શક્તિ અનુસાર તપ કરો છો ? શરીર ધર્મ કરવા માટેનું સાધન છે.]

  61. अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते।
    जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥


  62. [હે લક્ષ્મણ, આ લંકા સોનાની છે તો પણ તે મને ગમતી નથી. જનની અને જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે. વાલ્મિકી રામાયણમાં લંકા વિજય પછી લંકાનું રાજ સ્વીકારવાની ના પાડતા રામ આ વાક્ય કહે છે.]

  63. अपूर्व: कोपि कोशोयं विद्यते तव भारति।
    व्ययतो वॄद्धिम् आयाति क्षयम् आयाति संचयात्॥


  64. [હે દેવી સરસ્વતી, તારો ખજાનો ખરેખર અનોખો છે. જો તે વાપરીએ તો વધતો રહે છે અને જો તે સાચવીને રાખી મૂકીએ તો તેમાં ઘટાડો થાચ છે. જ્ઞાનનું એવું છે કે તે જેમ ઉપયોગમાં લેવાય તેમ વધે અને ઉપયોગ કર્યા વિના પડ્યું રહે તો કટાઈ જાય.]

  65. अयं निजः परो वेऽति गणना लघुचेतसाम्।
    उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥


  66. [આ મારું છે, તે બીજાનું છે એવી ગણતરી તો જેનું મન સાંકડું હોય તેવા લોકોની હોય. જેનું મન ઉદાર હોય તેને તો આખું ય જગત પોતાના કુટુંબ જેવું લાગે.]

  67. अरसिकेषु कवित्वनिवेदनं शिरसि मा लिख मा लिख मा लिख ।

  68. [હે વિધાતા, અરસિક માણસો પાસે કવિતા પ્રસ્તુત કરવાનું મારા કપાળે ન લખ, ન લખ, ન લખ. કાલિદાસે કોઈક વખત કંટાળીને આવી પ્રભુપ્રાર્થના કરી હોવાનું મનાય છે.]

  69. अर्थातुराणां न गुरुर्न बन्धुः कामातुराणां न भयं न लज्जा।
    विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिर्न वेला॥


  70. [જેમને પૈસા કમાવાની આતુરતા હોય તેને ન તો ગુરુ દેખાય, ન ભાઈ દેખાય. જેને કામેચ્છા જાગે તેને ન કોઈનો ડર લાગે, ન કોઈની શરમ નડે. જેને વિદ્યા પ્રાપ્તિની તડપ જાગે તેના જીવને ન શાંતિ હોય, ન ઊંઘ આવે. જેને ભૂખ લાગે તે ન રૂચિ જૂએ કે ન શું સમય થયો છે તે જૂએ.]

  71. अल्पकार्यकराः सन्ति ये नरा बहुभाषिणः।
    शरत्कालिनमेघास्ते नूनं गर्जन्ति केवलं॥


  72. [ઓછું કામ કરવાવાળા બહુ બોલ બોલ કરતા થઈ જાય. શરદ ઋતુમાં મેઘરાજા વરસે ઓછું ને ગરજે વધુ.]

  73. अल्पानामपि वस्तूनां संहति: कार्यसाधिका।
    तॄणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तसन्तिन:॥


  74. [નાની નાની બાબતનું ધ્યાન રાખી તેને સુવ્યવસ્થિત બનાવીને કામમાં સફળતા મેળવી શકાય છે. નાના નાના દોરાને ગૂંથી તેનું એવું મજબૂત દોરડું બનાવી શકાય કે જે મદમસ્ત હાથીને પણ બંધનમાં જકડી શકે.]

  75. अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
    गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः॥


  76. [ભગવત ગીતાનો આ શ્લોક છે. ભગવાન અર્જુનને કહે છે કે જેની ચિંતા કરવા જેવું નથી તેની તું ચિંતા કરે છે, બુદ્ધિશાળી માણસો જેવું બોલે છે પણ જે જ્ઞાની હોય તે કદી ભૂતકાળની કે ભવિષ્યકાળની ચિંતા કરી વ્યાકુળ થતા નથી.]

  77. असारे खलु संसारे सारं श्वशुरमन्दिरम्।
    हरो हिमालये शेते हरि: शेते महोदधौ॥


  78. [આ અસાર સંસારમાં સાચો સાર શ્વસુરના ઘરમાં છે ! એટલે તો ભગવાન શંકર હિમાલયમાં જઈને રહે છે અને વિષ્ણુ ભગવાન સમુદ્રમાં જઈને રહે છે !]

  79. अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च।
    अजापुत्रं बलिं दद्यात् देवो दुर्बलघातक:॥


  80. [બલિદાન કોનું દેવાય ? ઘોડાનું ? કદી નહિ. હાથીનું ? કદી નહિ. વાઘનું ? ના ભાઈ ક્યારેય નહિ. બલિદાન તો બકરીના બચ્ચાંનું જ દેવાય ! દેવ પણ નબળાંનો ભોગ લે છે !]

  81. अश्वत्थामा बलि र्व्यासो हनुमांश्च बिभीषणः।
    कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः॥


  82. [આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે અશ્વસ્થામા, બલી રાજા, વ્યાસ મુનિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ એ સાતને અમરત્વનું વરદાન મળેલું છે.]

  83. अश्वस्य भूषणं वेगो मत्तं स्याद् गजभूषणम्।
    चातुर्यम् भूषणं नार्या उद्योगो नरभूषणम्॥


  84. [ઘોડાનું ભૂષણ વેગ છે, હાથીનું ભૂષણ મદ છે. ચતુરાઈ એ નારીનું ભૂષણ છે તો જહેમત નરનું ભૂષણ છે.]

  85. अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयम्।
    परोपकारः पुण्याय पापाय परपीडनम्॥


  86. [અઢાર પુરાણનો સાર વ્યાસ મુનિના બે વચનોમાં સમાઈ જાય છેઃ પરોપકાર કરવો એ પુણ્ય છે અને પરપીડન કરવું એ પાપ છે.]

  87. अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम्।
    शेषा: स्थावरमिच्छन्ति किमाश्चर्यमत: परम्॥


  88. [મહાભારતના વનપર્વમાં આવતા યક્ષ યુધિષ્ઠિર સંવાદનો આ શ્લોક છેઃ અન્ય માણસો એક પછી એક મૃત્યુ પામે છે તેવું જોવા છતાં બાકીના માણસો પોતે જાણે કાયમ જીવતા રહેવાના છે એવી અપેક્ષા સાથે શાંતિથી જીવે છે તેનાથી વધુ મોટું આશ્ચર્ય જગતમાં શું હોઈ શકે ?]

  89. अहं ब्रह्मास्मि।


  90. [અનહલક. હું ઈશ્વર છું.]

  91. अहिंसा परमो धर्मः।


  92. [અહિંસા સૌથી મોટો ધર્મ છે.]

  93. अहो दुर्जनसंसर्गात् मानहानिः पदे पदे।
    पावको लोहसङ्गेन मुद्गरैरभिताड्यते॥


  94. [ખોટા માણસોની સાથે રહેવાથી ડગલે ને પગલે માર ખાવો પડે છે. સોનું પણ આગ અને લોખંડ જેવા પદાર્થોના સંપર્કમાં આવે ત્યારે તેની ઉપર હથોડીથી ધડાધડ પ્રહારો પડવા શરૂ થઈ જાય છે]

  95. आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः।


  96. [ઋગ્વેદનો મંત્રઃ બધી બાજુએથી કલ્યાણકારી વિચારો અમને પ્રાપ્ત થાઓ.]

  97. आकारैणैव चतुराः तर्कयन्ति परेङ्गितम्।
    गर्भस्थं केतकीपुष्पमामोदेनेव षट्पदाः॥


  98. [હોંશિયાર માણસોને બાહ્ય આકાર જોઈને અંદર શું હશે તે તેની ખબર પડી જાય છે. ભમરો સુગંધ પરથી જ કેતકી પુષ્પની કળીને પારખી લે છે. ]

  99. आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम्।
    सर्वदेवनमस्कार: केशवं प्रति गच्छति॥


  100. [આકાશમાંથી કોઈ પણ નદીમાં પડતું પાણી વહીને જેમ સાગરમાં મળી જાય છે તેમ કોઈ પણ દેવીદેવતાને કરેલું વંદન એક માત્ર ઈશ્વરને પહોંચે છે.]

  101. आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षे शत्रुसंकटे।
    राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः॥


  102. [સંકટના સમયે, દુષ્કાળમાં, શત્રુની ઉપાધિમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી બાજુમાં ઊભો રહે તે જ સાચો સગો છે.]

  103. आत्मनः प्रतिकूलानि परेषाम् न समाचरेत्॥


  104. [ભગવદ્ ગીતાનું કથન છેઃ જે આપણા માટે પ્રતિકૂળ હોય એટલે કે જે આપણને અનુકૂળ ન હોય તેવું આચરણ બીજા સાથે કરવું ન જોઈએ ]

  105. आत्मनः मुखदोषेण बध्यन्ते शुकसारिकाः।
    बकास्तत्र न बध्यन्ते मौनं सर्वार्थसाधनम्॥


  106. [મૌનથી બધા હેતુ સરે છે. બોલ બોલ કરવાના પોતાના વાંકે પોપટ તથા મેનાને પાજરામાં પૂરાવું પડે છે જ્યારે મૌન રહેતા બગલાને કોઈ બંધન સહન કરવું પડતું નથી.]

  107. आत्मनो गुरुः आत्मैव पुरुषस्य विशेषतः यत।
    प्रत्यक्षानुमानाभ्याम श्रेयसवनुबिन्दते॥


  108. [આપણે જ આપણા ગુરુ છીએ કેમકે આપણે જ આપણને શીખવતા હોઈએ છીએ. પ્રત્યક્ષ અનુભવ અને અનુમાનથી વધુ સારુ શું છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે.]

  109. आत्मपक्षं परित्यज्य परपक्षेषु यो रतः।
    स परैर्हन्यते मूढः नीलवर्णशृगालवत्॥



  110. [પંચતંત્રની એક વાર્તાનો સારાંશ છેઃ જે માણસ પોતાનો પક્ષ છોડી બીજાના પક્ષમાં રચ્યોપચ્યો રહે તે મૂર્ખ નીલરંગી શિયાળની માફક માર્યો જાય છે.]

  111. आत्मवत सर्वभूतेषु यः पश्यति सः पण्डितः।

  112. [ભગવદ્ ગીતામાં ભગવાનનું કથનઃ જેવો હું છું તેવા જ આ જગતના સર્વે જીવ છે એવું જેને ભાન થાય તે પંડિત કહેવાય.]

  113. आदौ रामतपोवनादिगमनं हत्वा मृगका़ञ्चनम्।
    वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसंभाषणम्॥
    वालीनिर्दलनम् समुद्रतरणं लङ्कापुरीदाहनम्।
    पश्चादरावणकुम्भकर्णहननं एतद् इति रामायणम्॥


  114. [લાંબા લચક રામાયણને ટૂંકમાં પતાવવું છે ? તો સાંભળો. પહેલા રામ તપોવનમાં ગયા, સોનાના હરણ પાછળ દોડ્યા, સીતાનું હરણ થયું, જટાયુનું મરણ થયુ, સુગ્રીવ સાથે વાતો થઈ, વાલી માર્યો ગયો, સમુદ્રનું તરણ થયું, લંકાનું દહન થયું, રાવણ, કુંભકર્ણનું હનન થયું. બસ રામાયણ પૂરું થયું.]

  115. आर्ता देवान् नमस्यन्ति, तप: कुर्वन्ति रोगिण:।
    निर्धना: दानम् इच्छन्ति, वॄद्धा नारी पतिव्रता॥


  116. [દુઃખી માણસ દેવને પગે લાગે છે. રોગી માણસ તપ કરે છે. નિર્ધન માણસ દાનને ઝંખે છે. વૃદ્ધ નારી પતિવ્રતા બને છે !]

  117. आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः।
    नास्त्युद्यमसमो बन्धुः कुर्वाणो नावसीदति॥


  118. [આળસ એ માણસના શરીરમાં રહેલો તેનો મોટો શત્રુ છે. ઉદ્યમ જેવો કોઈ બંધુ નથી. ઉદ્યમ કરનારો કદી નાશ પામતો નથી.]

  119. आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशॄङखला।
    यया बद्धा: प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥


  120. [આશા નામનું મનુષ્યનું બંધન ભારે અદ્દભુત બંધન છે. આ બંધનથી બંધાયેલો માણસ દોડવા લાગે છે તો આ બંધનથી મુક્ત થયેલ માણસ અપંગની જેમ સ્થિર થઈ જાય છે !]

  121. आस्ते भग आसीनस्य ऊध्र्वस्तिष्ठति तिष्ठतः।
    शेते निपद्यमानस्य चराति चरतो भगः॥


  122. [મહાભારતનો શ્લોક છેઃ જે માણસ કામ કર્યા વિના બેઠો રહે તેનું નસીબ બેઠેલું રહે છે. જે ઊભો ઊભો વિચાર કર્યા કરે છે તેનું નસીબ પણ ઊભું જ રહી જાય છે. જે માણસ ઊંઘી જાય તેનું નસીબ ઊંઘી જાય છે પણ જે ચાલતો જ રહે તેનું નસીબ ચાલવા લાગે છે.]

  123. आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम्।
    धर्मो हि तेषाम् अधिकोविशेषो धर्मेण हीना: पशुभि: समाना:॥


  124. [આહાર, નિદ્રા, ભય અને મૈથુનની બાબતમાં પશુ અને માણસમાં કોઈ ફરક નથી. માણસમાં ધર્મ એક એવી ચીજ છે જે પશુંમાં હોતી નથી. આથી ધર્મ વિનાનો માણસ પશુ જેવો જ લેખાય.]

    ઇ-ઈ

  125. इतो भ्रष्टस्ततो नष्टः।


  126. [અહી જઈશ તો ભ્રષ્ટ થઈશ. ત્યાં જઈશ તો નષ્ટ થઈશ.]

  127. इदमद्य करिष्यामि श्वः कर्तास्मि इति वादिनम्।
    कालो हरति संप्राप्तो नदीवेग इव द्रुमम् ॥


  128. [જેમ નદીમાં આવેલું પૂર પોતાના વેગમાં વૃક્ષને તાણી જાય છે તેમ આ કામ આજે કરીશ આ કામ કાલે કરીશ એવી વાતો કરનારાને સમયનું પૂર પોતાની સાથે ખેંચી જાય છે.]

  129. ईशावास्यमिदं सर्वं यत् किञ्च जगत्यां जगत्।
    तेन त्यक्तेन भुञ्जीथा मा गॄध: कस्यस्विद् धनम्॥


  130. [ ઈશાવાસ્ય ઉપનિષદનો તત્વજ્ઞાનીઓને ખૂબ જ પ્રિય એવો શ્લોક. જડ અને ચેતનતત્વના બનેલા આ જગતના અણુંએ અણુંમાં ઈશ્વર છે અને તે જ તેનો સ્વામી છે. આ જગતને માણ પણ ત્યાગના ભાવ સાથે માણ. એવું માનતો નહિ કે તારા એકલાની કોઈ ચીજ છે. જે કંઈ છે તેના પર અન્યનો પણ એટલો જ અધિકાર છે. અન્યના અધિકારને કદી છીનવી લેતો નહિ.]

    ઉ-ઊ

  131. उत्तमो नातिवक्ता स्यात् अधमो बहु भाषते।
    न काञ्चने ध्वनिस्तादृक् यादृक् कांस्ये प्रजायते॥


  132. [નકામો માણસ બહુ બોલ બોલ કરે એટલે ઉત્તમ વક્તા બની જતો નથી. સોનાનો જેટલો અવાજ આવે તેના કરતાં કાસાનો અવાજ અનેકગણો આવે છે.]

  133. उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
    क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥


  134. [કઠોપનિષદ અધ્યાય-૧ વલ્લી-૩નો શ્લોકઃ ઊઠો જાગો તમારાથી ચડિયાતા જાણકારો પાસેથી જ્ઞાન મેળવો. કવિઓ (એટલે કે વિદ્વાનો) કહે છે કે જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છરીની ધાર પર ચાલવા જેવો આકરો છે.]

  135. उत्पद्यन्ते विलीयन्ते दरिद्राणां मनोरथाः।


  136. [ગરીબ માણસને મનમાં ઇચ્છાઓ જાગતી રહે ને ભૂલાતી રહે. તેનું પરિણામ કંઈ ન આવે.]

  137. उत्सवप्रियाः खलु मनुष्याः।


  138. [કાલિદાસનું કથનઃ બધા માણસોને તહેવાર માણવા ગમે છે.]

  139. उत्साहो बलवानार्य नास्त्युत्साहात्परं बलम्।
    सोत्साहस्य च लोकेषु न किंचिदपि दुर्लभम्॥


  140. [ઉત્સાહમાં ખૂબ બળ હોય છે. ઉત્સાહથી વધુ મોટું બળ કોઈ નથી. એટલે ઉત્સાહી માણસો માટે કોઈ કામ અઘરું નથી.]

  141. उदये सविता रक्तो रक्तश्चास्तमने तथा।
    सम्पत्तौ च विपत्तौ च साधूनामेकरूपता॥


  142. [ઊગતો સૂરજ લાલ રંગનો હોય છે, આથમતો સૂરજ પણ લાલ રંગનો જ હોય છે. સજ્જન માણસના રંગ ઢંગ સુખમાં કે દુઃખમાં સરખા જ રહે છે.]

  143. उदारस्य तॄणं वित्तं शूरस्य मरणं तॄणं।
    विरक्तस्य तॄणं भार्या निस्पॄहस्य तॄणं जगत्॥


  144. [ઉદાર માણસને ધનનું મહત્વ તણખલા જેટલુ હોય છે, શૂરવીર માણસને મોત તણખલા જેટલું તુચ્છ લાગે છે, સંસારમાં રસ ન હોય તેવા માણસને પત્નીની કોઈ કીમત હોતી નથી તો જે નિસ્પૃહી માણસ છે તેને આખું જગત તણખલા જેવું નકામું લાગે છે.]

  145. उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
    आत्मैव ह्मात्मनो बंधु: आत्मैव रिपुरात्मन:‌॥


  146. [ભગવદ્ ગીતાનો ઉપદેશઃ આત્માનો ઉદ્ધાર આત્મા વડે જ કરવો જોઈએ. આત્માની કદી અવનતિ થવા ન દેવી જોઈએ. આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.]

  147. उद्यमस्साहसं धैर्यं बुद्धिश्शक्तिः पराक्रमः।
    षड् एते यत्र वर्तन्ते देवः तत्र सहायकृत्‌॥


  148. [જ્યાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ એ છ બાબત હોય ત્યાં પ્રભુની બધી મદદ મળી રહે છે.]

  149. उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः।
    न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥
  150. [માત્ર મનના ઘોડા દોડાવ્યે નહિ મહેનત કરવાથી જ કામ થાય. સિંહ જો સૂતો રહે તો એના મોંમા શિકાર થવા હરણો સામેથી ન આવે.]

  151. उद्योगिनं पुरुष सिंहमुपैति लक्ष्मीः।


  152. [મહેનત કરતા હોય તેવા પરાક્રમી પુરુષ પાસે જ લક્ષ્મી આવે છે.]

  153. उपकारगृहीतेन शत्रुणा शत्रुमुध्दरेत्।
    पादलग्नं करस्थेन कण्टकेनैव कण्टकम्॥


  154. [શત્રુની મદદ લઈને શત્રુનો નાશ કરવો જોઈએ. પગમાં કાંટો લાગે તો બીજા કાંટાનો ઉપયોગ કરી કાઢી નખાય.]

  155. उपकारोऽपि नीचानां अपकारो हि जायते।
    पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम्॥


  156. [અધમ માણસ પર ઉપકાર કરો તો તેના બદલે અપકાર જ મળે. સાપને દૂધ પીવડાવો તો તેનું ઝેર ઓર વધે.]

  157. उपमा कालिदासस्य भारवेरर्थगौरवम्।
    दण्डिनः पदलालित्यं माघे सन्ति त्रयो गुणाः॥


  158. [ઉપમા કાલિદાસની વખણાય. શબ્દને અર્થગૌરવ અર્પવામાં ભારવિ બેજોડ છે. પદલાલિત્ય તો દણ્ડિ જેવું કોઈનું ન થાય. પણ માઘની કૃતિઓમાં આ ત્રણે વિશિષ્ટતા જોવા મળે છે.]

  159. उष्ट्राणां विवाहेषु गीतं गायन्ति गर्दभाः।
    परस्परं प्रशंसन्ति अहो रूपं अहो ध्वनिः॥


  160. [ઊંટના લગ્નમાં ગધેડા ગીત ગાય છે અને બન્ને એક બીજાના વખાણ કરે કે વાહ શું તારું રૂપ છે ને વાહ શું તારો કંઠ છે !]

    એ-ઐ-ઓ-ઔ-અં-અઃ

  161. एक एव खगो मानी चिरंजीवतु चातकम्।
    म्रियते वा पिपासार्ते याचते वा पुरंदरम्॥


  162. [હે ચાતક, તું અમર રહે. તું બધા પક્ષીમાં શ્રેષ્ઠ છે કારણ કે તું એક જ એવું પક્ષી છે જે તરસ લાગે ત્યારે માત્ર ઈન્દ્રદેવતા પાસે યાચના કરે છે અથવા મોત વહાલું કરે છે. (ચાતક માત્ર આકાશમાંથી પડતું પાણી પીએ છે. એ સિવાય અન્ય પાણી નહિ એવી દંતકથા છે.)]

  163. एकं सद् विप्रा: बहुदा वदन्ति।
    अग्निं यमं मातरिश्वानम् आहु:॥


  164. [‘અલ્લાહો અકબર’નો પૈગામ આ જગતને મળ્યો તેના સેંકડો વર્ષ અગાઉ ઉપનિષદમાં એ જ વાત ઘણી વખત કહેવાઈ ગઈ છે. એક જ સત્ય એટલે કે એક જ ઈશ્વર છે. ફક્ત વિદ્વાનો તેને જુદા જુદા નામ આપે છે. અગ્નિ, યમ, માતરિશ્વા, વાયુ એ બધું અતે તો એકનું એક જ છે.]

  165. एकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना।
    वासितं तद्वनं सर्वम् सुपुत्रेण कुलं यथा॥


  166. [એક સુંદર પુષ્પ આખા ઝાડને સુગંધથી મઘમઘતું કરી દે છે. એવી જ રીતે એક સુપુત્રથી આખા કુટુમ્બનું નામ રોશન થઈ જાય છે.]

  167. एकोऽहं बहु स्याम् प्रजायेय।


  168. [હું એક છું પણ અનેક રૂપ ધારણ કરું છું.]

  169. अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम्।
    वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम्॥


  170. [જગતગુરુ શંકરાચાર્યનો ઉપદેશઃ વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, દાંત પડી ગયા છે, લાકડીના ટેકે ચાલવું પડે છે છતાં આશાઓના બંધન હજી છૂટતા નથી.]

  171. कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्‌।
    बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥


  172. [લગ્નની પસંદગીમાં કન્યા રૂપને, માતા સંપત્તિને, પિતા શિક્ષણને અને ભાઈઓ કુળને મહત્વ આપે છે. બાકીના બધાને તો મિષ્ટાનમાં શું ખાવા મળશે એ વાતમાં જ રસ હોય છે.]

  173. कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।
    करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्॥


  174. [કરના ઉપરના ભાગમાં લક્ષ્મી વસે છે, કરના વચ્ચેના ભાગમાં સરસ્વતી રહે છે તો કરના નીચેના ભાગમાં કૃષ્ણનો વાસ છે માટે સવારે ઊઠીને સૌથી પહેલા કરના દર્શન કરવા જોઈએ.

    લક્ષ્મીની ગણતરી આંગળી વડે કરાય એટલે લક્ષ્મી કરાગ્રે રહે છે, કલમ બે આંગળી અને અંગુઠા વચ્ચે પકડવી પડે એટલે સરસ્વતીનો નિવાસ કરમધ્યે લેખાય અને કરની બધી હિલચાલનો આધાર કાંડા પર રહે છે એટલે જગતનો નાથ કરમૂલમાં રહે છે એવું અર્થઘટન પણ કરવામાં આવે છે. અપના હાથ જગન્નાથ અર્થાત્ ‘આપણો હાથ જ આપણો ભગવાન છે’ એ કહેવત જેવો જ ધ્વનિ આ શ્લોકમાંથી ઉપસે છે.]

  175. कर्ता कारयिता चैव प्रेरकश्च अनुमोदकः।
    सुकृते दुष्कृते चापि चत्वारः समभागिनः॥


  176. [કોઈ કામ ભલે સારું હોય કે ખરાબ પણ તે કામ કરનાર, તે કામ કરાવનાર, તે કામની પ્રેરણા આપનાર અને તે કામનું સમર્થન કરનાર એ ચારે જણ તે કામના સરખા ભાગીદાર ગણાય.]

  177. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
    मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥


  178. [ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ તારો અધિકાર ફક્ત કર્મ કરવા પૂરતો છે. ફળ પર કદાપિ નહિ. એટલે તારું મન તું કર્મના ફળ પર ક્યારે ય કેન્દ્રિત કરીશ નહિ. અને કદી કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખીશ નહિ.]

  179. कस्यैकान्तं सुखम् उपनतं दु:खम् एकान्ततो वा।
    नीचैर् गच्छति उपरि च दशा चक्रनेमिक्रमेण॥


  180. [કાલિદાસના મેઘદૂત કાવ્યમાં આ તત્વજ્ઞાન પીરસાયું છેઃ કોને જીવનમાં સતત સુખ મળે કે સતત દુઃખ મળે છે ? ચક્રાકારે ફરતી વસ્તુમાં જેમ ઉપરનો ભાગ નીચેના ભાગનું સ્થાન લે અને નીચેનો ભાગ ઉપરના ભાગનું સ્થાન લે તેમ સુખ અને દુઃખ એક બીજાના સ્થાને સતત આવતા જ રહે છે.]

  181. काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयोः।
    वसन्तसमये प्राप्ते काकः काकः पिकः पिकः॥


  182. [કાગડો કાળો હોય છે, કોયલ પણ કાળી હોય છે. બન્ને વચ્ચે ફરક શું છે ? વસંત ઋતુ આવે કાગડાનું કાગડાપણું અને કોયલનું કોયલપણું આપમેળે પરખાઈ આવે છે.]

  183. काकचेष्टा वकोध्यानं श्वाननिद्रा तथैव च।
    अल्पहारी गृह्त्यागी विद्यार्थी पंचलक्षण्म्॥


  184. [સાચા વિદ્યાર્થીના આ પાંચ લક્ષણ છેઃ કાગડા જેવી ચકોર નજર, બગલા જેવું પાકું ધ્યાન, શ્વાન જેવી અલ્પ નિદ્રા, ઓછો આહાર અને ઘરની માયાનો ત્યાગ.]

  185. काकस्य कति दन्ता वा मेषस्याण्डे कियत्पलम्।
    गदर्भे कति रोमाणि व्यर्थैषा विचारणा॥


  186. [કાગડાની ચાંચમાં દાંત કેટલા છે ? દેડકાએ ઈંડા કેટલા મૂક્યા છે ? ગધેડાના શરીર પર વાળ કેટલા છે ? એવી તદ્દન વ્યર્થ ગણતરીઓ કર્યા કરવાનો કોઈ મતલબ નથી.]

  187. कान्तावियोगः स्वजनापमानं ऋणस्य शेषं कुनृपस्य सेवा।
    दारिद्र्यभावाद् विमुखं च मित्रं विनाग्निना पञ्च दहन्ति कायम्॥


  188. [પ્રિય વ્યક્તિનો વિયોગ, સ્વજન પાસેથી મળેલું અપમાન, ચૂકવવું બાકી રહેતું દેવું, ખરાબ માલિકની નોકરી અને ગરીબાઈના કારણે મિત્ર ખોઈ બેસવો એ પાંચ વસ્તુ એવી છે કે જે તમને અગ્નિ વિના સતત બાળતી રહે.]

  189. कान्पृच्छामः सुराः स्वर्गे निवसामो वयं भुवि।
    किं वा काव्यरसः स्वादुः किंवा स्वादीयसि सुधा॥


  190. [પૂછવું કોને ? દેવ બધા સ્વર્ગમાં છે અને અમે ધરતી પર. અમારે માત્ર એટલું જાણવું છે કે વધુ સ્વાદમય શું છે ? કાવ્યરસ કે અમૃત ?]

  191. कार्याथीर् भजते लोकः यावत्कार्यम् न सिध्यति।
    उत्तीर्णे च परे पारे नौकाया किं प्रयोजनम्॥


  192. [જ્યાં સુધી ધારેલું કામ નીકળી ન જાય ત્યાં સુધી માણસ બીજાને ભજે છે. એક વખત નદી પાર ઉતરી ગયા પછી હોડકું શું કામ આવે ?]

  193. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा।
    धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा॥


  194. [મહત્વના કામમાં મદદનીશ, ઘરના કામમાં નોકરાણી, ભોજન કરાવવામાં માતા, સહશયનમાં અપ્સરા, ધર્મની બાબતમાં સહધર્મિણી અને ધરતી જેટલી ક્ષમાશીલ આ છ ગુણ ધરાવતી પત્ની મળવી દુર્લભ છે.]

  195. काले मृदुर् यो भवति काले भवति दारुणः।
    स वै सुखम् अवाप्नोति लोकेऽमुष्मिन्न् इहैव च॥


  196. [જે માણસ સમય આવ્યે મૃદુ બની શકે અને સમય આવ્યે આકરો બની શકે તે જ આ લોકમાં સુખી થઈ શકે.]

  197. कालो वा कारणं राज्ञः राजा वा कालकारणं।
    इति ते संशयो मा भूत् राजा कालस्य कारणम्॥


  198. [સૂચિત અર્થઃ તમે જે કંઈ છો તે સંજોગોને કારણે છો કે તમારી આજુબાજુ જે સંજોગો છે તે તમારે કારણે છે એવી કોઈ શંકા મનમાં રાખશો નહિ. તમારા સંજોગો તમારા કારણે જ છે. તમે જ તેના સ્વામી છો. સમયના કારણે રાજા નથી રાજાના કારણે સમય છે.]

  199. काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्।
    व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा॥


  200. [બુદ્ધિમાન માણસનો સમય કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્રની ચર્ચામાં પસાર થાય છે. જ્યારે મૂર્ખ માણસ વ્યસનના સેવનમાં, ઊંઘવામાં કે ઝગડા કરવામાં પોતાનો સમય વેડફે છે.]

  201. काव्येषु नाटकं रम्यं तत्र रम्यं शकुन्तला।
    तत्रापि च चतूर्थोऽङ्को तत्र श्लोकचतुष्टयम्॥


  202. [બધા કાવ્યોમાં નાટક સૌથી સરસ ગણાય, બધા નાટકમાં અભિજ્ઞાન શાકુંતલમ્ નાટક વધુ સરસ છે. શાકુંતલમ્‌માં તેનો ચોથો અંક સૌથી સરસ છે અને ચોથા અંકમાં તેના ચાર શ્લોક સૌથી સરસ છે.]

  203. किं वाससा इत्यत्र विचारणीयं वासः प्रधानं खलु योग्यतायै।
    पीताम्बरं वीक्ष्य ददौ स्वकन्यां दिगम्बरं वीक्ष्य विषं समुद्रः॥


  204. [કપડાંથી શું થાય એ વિચારવા જેવી વાત છે. યોગ્યતા માપવાનું સૌથી મહત્વું સાધન કપડા છે. વિષ્ણુનું સુંદર પીતામ્બર જોઈ રત્નાકરે પોતાની પુત્રી તેને આપી જ્યારે દિગમ્બર શિવજીને જોઈને ઝેરનો કટોરો ધર્યો !]

  205. किम् अशक्यं बुद्धिमतां किम् असाध्यं निश्चयं दृढं दधताम्।
    किम् अशक्यं प्रियवचसां किम् अलभ्यंम् इहोद्यमस्थानाम्॥


  206. [જેમની પાસે બુદ્ધિ છે તેમના માટે કશું અશક્ય નથી. જેમનો નિશ્ચય દ્રઢ છે તેમના માટે કશું અસાધ્ય નથી. જેમની વાણી મીઠી છે તેઓ કોઈ પણ કામ કરાવી શકે છે. જેઓ ઉદ્યમશીલ છે તેમના માટે કોઈ વસ્તુ અલભ્ય નથી.]

  207. कुलस्यार्थे त्यजेदेकम् गाम्स्यार्थे कुलम्त्यजेत्।
    गामं जनपदस्यार्थे आत्मार्थे पॄथिवीम् त्यजेत्॥


  208. [મનુસ્મૃતિ અનુસાર કુળના ભલા માટે એકાદ વ્યક્તિને ત્યજવી, ગામના ભલા માટે કુળને ત્યજવું, જનપદ એટલે કે મોટા વિસ્તારના ભલા માટે ગામને ત્યજવું અને આત્માના ઉદ્ધાર માટે સમગ્ર પૃથ્વી ત્યજવી ઈચ્છનીય છે.]

  209. कुसुमं वर्णसंपन्नंगन्धहीनं न शोभते।
    न शोभते क्रियाहीनं मधुरं वचनं तथा॥


  210. [પુષ્પ રંગમાં ભલે ગમે તેટલું સારું હોય પણ સુગંધ વિનાનું હોય તો તે શોભે નહિ. તે જ રીતે જેને અમલમાં ન મૂકવાના હોય તેવા મીઠા વચનો શોભતા નથી.]

  211. कृतस्य करणं नास्ति मृतस्य मरणं तथा।
    गतस्य शोचना नास्ति ह्येतद् वेदविदां मतम्॥


  212. [જે કામ થઈ ગયું તે થઈ ગયું. તે કામ નથી થયું એવું થઈ શકતું નથી. જેમકે કોઈનું મરણ થઈ જાય તે થઈ જાય. તેને પાછું પલટાવી શકાય નહિ. એટલે જ વેદના જાણકારોનો મત છે કે વીતી ગયેલી વાતનો શોક કરવો ન જોઈએ.]

  213. कृपणेन समो दाता न भूतो न भविष्यति।
    अस्पृशन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति॥


  214. [કૃપણ જેટલો મોટો દાનવીર આ જગતમાં થયો નથી અને થશે નહિ કેમકે કૃપણ પોતાનું બધું ધન આખી જિંદગી સુધી હાથથી સ્પર્શ પણ કર્યા વિના સાચવી રાખીને બીજાને આપી દે છે.]

  215. केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः
    न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजाः।
    वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते
    क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥


  216. [માણસ શોભે શેનાથી ? હાથમાં પહેરેલા સુંદર બાજુબંધથી ? ગળામાં પહેરેલા ચંદ્રસમા ઊજળા હારથી ? સ્નાનથી મળતી સ્વચ્છતાથી ? દેહ પર લગાડેલા વિલેપનથી ? પુષ્પોથી ? વાળની સરસ ગૂંથણીથી ? હા, શોભાની આ બધી ચીજો જરૂર સારી લાગે છે પણ તેનાથી અનેકગણી ચડિયાતી શોભા તેના મુખમાંથી નીકળતી સંસ્કારી વાણીની છે. સંસ્કારપૂર્ણ વાણીની શોભા પાસે અન્ય બધી શોભા ઝાખી પડી જાય છે.]

  217. को न याति वशं लोके मुखे पिण्डेन पूरितः।
    मृदङ्गो मुखलेपेन करोति मधुरध्वनिम्॥


  218. [‘ખવડાવો’ તો કોણ તમારા વશમાં ન આવે ? મૃદંગના મોઢે લેપ કરો તો તેમાંથી પણ મધુર અવાજ આવવો શરૂ થઈ જાય છે.]

  219. को हि भारः समर्थानां किम् दूरं व्यवसायिनाम्।
    को विदेशः सविद्यानां कः परः प्रियवादिनाम्॥


  220. [તાકાતવર માણસને ભાર ઉપાડવો ભારે ન પડે. ધંધો કરતો હોય તેને કોઈ સ્થળ દૂર ન લાગે. જેની પાસે વિદ્યા હોય તેને દેશ કે પરદેશ સરખાં જ લાગે. જે સરસ મીઠી વાતો કરે તેને કોઈ પારકું ન રહે.]

  221. क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः।
    स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥


  222. [ભગવત ગીતાના આ શ્લોકમાં ભગવાન અર્જુનને ઉપદેશ આપતા સમજાવે છે કે ક્રોધથી ભાન ભૂલી જવાય છે. ભાન ભૂલેલા માણસને યાદ રાખવા જેવી વાતો યાદ આવતી નથી. આ વિસ્મૃતિને કારણે મગજ કામ કરતું નથી અને જેનું મગજ કામ ન કરે તેનું સાવ ધનોતપનોત નીકળી જાય છે.]

  223. कः कालः कानि मित्राणि को देशः को व्ययागमौ।
    कस्याहं का च मे शक्तिरिति चिन्त्यं पुनः पुनः॥


  224. [અત્યારે સંજોગો કેવા છે, કોણ મારા મિત્રો છે, હું ક્યા વિસ્તારમાં રહું છું, મારી આવક અને ખર્ચ કેટલા છે, હું કોણ છું, અને મારી શક્તિ કેટલી છે - આ છ બાબતો દરેક માણસે ફરી ફરી જોતાં રહેવું જોઈએ.]

  225. खद्योतो द्योतते तावद् यवन्नोदयते शशी।
    उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमा:॥


  226. [ જ્યાં સુધી ચંદ્રમા ઊગતો નથી ત્યાં સુધી આગિયો ચમકે છે. એક વખત સૂરજ ઊગે પછી ન તો ચંદ્રનો કોઈ ભાવ પૂછે કે ન તો આગિયાનો કોઈ પત્તો લાગે છે.]

  227. खलः करोति दुर्वृत्तं नूनं फलति साधुषु।
    दशाननोऽहरत् सीतां बन्धनं तु महोदधेः॥


  228. [એવું ઘણી વખત બને છે કે કોઈ ખરાબ માણસ ખોટું કામ કરે પણ તેનું ખરાબ પરિણામ સારા માણસે વેઠવું પડે. દશ માથાવાળો રાવણ સીતાનું હરણ કરી ગયો પણ બંધન સમુદ્રને વેઠવાનો વારો આવ્યો.]

  229. गहना कर्मणो गतिः।


  230. [કર્મની ગતિ ગહન છે. સમજી શકાતી નથી.]

  231. गुणवज्जनसंसर्गात् याति नीचोऽपि गौरवम्।
    पुष्पमालाप्रसङ्गेन सूत्रम् शिरसिधार्यते॥


  232. [ગુણવાન માણસોના સંસર્ગમાં રહેવાથી ઓછી લાયકાતવાળા માણસોને પણ ગૌરવ મળી જાય છે. પુષ્પમાળામાં રહેવાને કારણે સાધારણ દોરાને પણ ગળામાં માનભર્યું સ્થાન મળે છે.]

  233. गुणाः पूजास्थानम् गुणिषु, न च वयं, न च लिंगं।


  234. [ભવભૂતિકૃત ઉત્તરરામચરિતમાં આ કથન છેઃ ગુણવાન માણસોની પૂજા તેની વય કે લિંગના આધાર પર નહિ પણ તેના ગુણ જોઈને કરાય છે.]

  235. गुणैरुत्तमतांयाति नोच्चैरासनसंस्थित:।
    प्रासादशिखरस्थोपि काक: किं गरुडायते॥


  236. [કોઈ પણ માણસની લાયકાત તે ક્યા સ્થાને બિરાજે છે તેના પરથી નહિ પણ તેના ગુણો કેવાં છે તે આધારે જ અંકાય. કોઈ કાગડો ઊડીને ઊંચા મહેલના શિખર પર બેસી જાય એટલે તે ગરુડ થોડો થઈ જાય ?]

  237. घटं भिन्द्यात् पटं छिन्द्यात् कुर्याद्रासभरोहणम्।
    येन केन प्रकारेण प्रसिद्धः पुरुषो भवेत्॥


  238. [ઘરના વાસણ ફોડીને, પોતે પહેરેલા કપડાં ફાડીને, ગધેડા ઉપર સવારી કરીને કે એક યા બીજી કોઈ રીતે (પ્રસિદ્ધિ ભૂખ્યા) માણસો પ્રસિદ્ધિ મેળવે છે જ.]

  239. घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्।
    छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम्।
    दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णम्।
    प्राणान्तेऽपि हि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम्॥


  240. [ચંદનને ગમે તેટલી વાર ઘસો પણ તે દરેક વખતે મનોહર સુગંધ જ આપશે. શેરડીમાં ગમે તેટલાં કાપા મૂકો પણ દરેક વખતે તેનો રસ મીઠો ને મીઠો જ રહેશે, સોનાને ચાહે તેટલી વાર તપાવો પણ તેનો સોનેરી રંગ ઝાંખો પડશે નહિ. જે ઉત્તમ પ્રકૃતિ ધરાવતા હોય તેઓ મરી જાય પણ કદી પોતાની ઉત્તમ પ્રકૃતિને ન છોડે.]

  241. चक्रवत्परिवर्तन्ते दुःखानि च सुखानि च।
    नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण॥


  242. [સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. ગોળ ગોળ ફરતા ચકડોળમાં જેમ જે નીચે હોય તે ઉપર આવે અને જે ઉપર હોય તે નીચે જાય તેવું જ સુખદુઃખનું છે. એ ચક્ર ચાલતું જ રહે છે.]

  243. चरैवेति चरैवेति।


  244. [ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહેવામાં જ કલ્યાણ છે. ચરૈવેતિ ચરૈવેતિ સૂત્રના મૂળ પાંચ સુંદર શ્લોક આ પ્રમાણે હોવાનું મનાય છેઃ

    १-ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।
    पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

    २- पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।
    शेरेऽस्यसवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

    ३- आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।
    शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

    ४- कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।
    उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

    ५- चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।
    सूयर्स्यपश्य श्रेमाणं योर्न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥ ]

  245. चिन्तनीया हि विपदां आदावेव प्रतिक्रिया।
    न कूपखननं युक्तं प्रदीप्ते वान्हिना गॄहे॥


  246. [સંકટ આવે તે પહેલા જ તેનો ઈલાજ વિચારી રાખવો જોઈએ. આગ લાગે પછી કૂવો ખોદવા ન બેસાય.]

  247. छिन्नोऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः।
    इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न विप्लुता लोके॥


  248. [ભર્તુહરિના નીતિશતકનો આ શ્લોક છેઃ વૃક્ષને કાપો તો તે ફરી ફરી વધે છે. ચંદ્ર ક્ષીણ થયા પછી પાછો વધતો જાય છે. આ બધી વાત યાદ રાખી સંત માણસો દુઃખમાં પણ સંતાપ પામતા નથી.]

    જ-ઝ

  249. जयन्तु ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः।
    नास्ति एषां यशः काये जरामरणजं भयम्॥


  250. [સુંદર કૃતિઓ રચનારા, ઉરના ઊંડા ભાવને શબ્દમાં ઉતારી રસ સિદ્ધ કરનારા, કવિઓ પણ જેને ઉત્તમ ગણે એવા મહાકવિઓનો જય હો. તેમની કીર્તિરૂપી કાયાને વૃદ્ધાવસ્થા કે મરણનો કોઈ ભય નથી]

  251. जले तैलं खले गुह्यां पात्रे दानं मनागपि।
    प्राज्ञे शास्त्रं स्वयं याति विस्तार वस्तुशक्तित:॥


  252. [ઘણી બાબતો તેના મૂળભૂત ગુણધર્મને કારણે આપમેળે વિસ્તાર પામે છે. જેમકે પાણીની ઉપર નાખેલું તેલ, દુષ્ટ માણસને કહેવામાં આવેલી ખાનગી વાત, સુપાત્રને આપેલું નાનું સરખું દાન, ડાહ્યા માણસને મળેલું જ્ઞાન આ બધું આપમેળે ફેલાયા કરે છે.]

  253. जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
    तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥


  254. [ભગવદ્ ગીતાનો ઉપદેશઃ જે માણસ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેમનું મરણ થાય તેનો ફરી જન્મ થાય છે. આ વાતને કોઈ માણસ કોઈ કાળે ટાળી શકે નહિ. આવી અનિવાર્ય બાબતનો હરખશોક રાખવો ન જોઈએ.]

  255. जानामि धर्मं न च मे प्रावॄत्ति:।
    जानाम्यधर्मं न च मे निवॄत्ति:॥


  256. [મહાભારતમાં દુર્યોધન દ્વારા બોલાયેલું પ્રસિદ્ધ વાક્ય. એવું નથી કે ધર્મ શું છે, અધર્મ શું છે તેની મને ખબર નથી. પણ જાણવા છતાં હું ધર્મના માર્ગે કદમ મૂકી શકતો નથી અને અધર્મના માર્ગેથી પાછો હઠી શકતો નથી.]

  257. जीवो जीवस्य जीवनम्।


  258. [આ જગતમાં દરેક જીવનું જીવન બીજા જીવને આધારે જ ચાલે છે.]

  259. ज्येष्ठत्वं जन्मना नैव गुणैज्र्येष्ठत्वमुच्यते।
    गुणात् गुरुत्वमायाति दुग्धं दधि घॄतं क्रमात्॥


  260. [મહાનપણું જન્મથી મળતું નથી. ધીમે ધીમે ગુણોના સંચય વડે મહાન થવાય છે. ઘીનો જ દાખલો લો. ઘી સીધું બનતું નથી. દૂધનું દહીં, છાશ, માખણ થયા પછી છેવટે ઘી બને છે.]

    ટ-ઠ-ડ-ઢ-ણ

    ત-થ

  261. तत् कर्म यत् न बन्धाय सा विद्या या विमुक्तये।
    आयासाय अपरं कर्म विद्या अन्या शिल्पनैपुणम्॥


  262. [વિષ્ણુપુરાણનું આ કથન છે. ભાવાર્થ છે કે જે કર્મ મનુષ્યને (ભવના)બંધનમાં ન બાંધે તે સાચું કર્મ છે. જે વિદ્યા (ભવના) બંધનમાંથી મુક્તિ અપાવે તે સાચી વિદ્યા છે. બાકીના કર્મ તો માત્ર કષ્ટનું કારણ બને છે અને બાકીની વિદ્યા ફક્ત શોભાના ગાંઠીયા જેવી છે.]

  263. तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके।
    तदन्तरस्य सर्वस्य तदु सर्वस्य बाह्यतः॥
  264. (ઈશાવાસ્યોપનિષદ)
    
    [પ્રભુ છે ભમતા ને છતાં સ્થિર
     અનંત અંતરે  ને સાવ નજીક
     વ્યાપ્યા છે  કણેકણની ભીતર
     છતાં છે સર્વની બહાર સંપૂર્ણ]
  265. तदेतत् क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे।
    कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥


  266. [દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રનો સુંદર શ્લોકઃ હે સર્વનો ઉદ્ધાર કરનારી કલ્યાણકારી દેવી મારા બધા અપરાધની ક્ષમા આપજે કેમકે ક્યારેક પુત્ર કુપુત્ર બને છે પણ માતા કદી કુમાતા બનતી નથી.]

  267. तावत् भयस्य भेतव्यं यावत् भयं न आगतम्।
    आगतं हि भयं वीक्ष्य प्रहर्तव्यं अशंकया॥


  268. [પંચતંત્રમાં અપાયેલી સોનેરી સલાહઃ જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ ને એનાથી દૂર રહેવું જોઈએ પણ એક વખત ભય ઉપસ્થિત થાય કે તુરંત અચકાયા વિના તેના પર પ્રહાર કરવો જોઈએ.]

  269. ते हि नो दिवसा गताः।


  270. [ તે દિવસો ગયા જ. ભગવાન રામનો વિષાદયોગ વર્ણવવા ભવભૂતિએ રામના મુખમાં મૂકેલા શબ્દો. ઉત્તરરામચરિતનો આખો શ્લોક આ પ્રમાણે છે.

    जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे ।
    मातृभिश्चिन्त्यमानानां ते हि नो दिवसा गताः ॥१२॥

    હું પિતાજીના ચરણમાં જીવતો હતો, નવા નવા લગ્ન થયા હતા. મારી માતાઓની સંભાળ રાખતો હતો. તે દિવસો ગયા જ. ભવભૂતિની આ કૃતિ અનેક રીતે અદ્દભુત છે. ભગવાન રામ માટે ’ચંડાળ’ શબ્દ વાપરવાની હિમ્મત ભવભૂતિ જેવા કવિ જ કરી શકે. આ કૃતિમાં ભગવાન રામ સીતાત્યાગના પ્રસંગને પોતાના ‘ચાંડાલકર્મ’ તરીકે વર્ણવે છે. ]

  271. त्यजन्ति मित्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सज्जनाश्च।
    तमर्थवन्तं पुनराश्रयन्ति अर्थो हि लोके मनुषस्य बन्धु:॥


  272. [જ્યારે તમારી પાસે ધન ન હોય ત્યારે તમને તમારા મિત્ર, પુત્ર, પત્ની, નજીકના સગાવહાલા બધા છોડીને ચાલ્યા જાય છે. જો તમારી પાસે ધન આવે તો તેઓ તમારી પાસે પાછા આવે છે. આ જગતમાં તમારો સાચો સાથીદાર પૈસો જ છે.]

  273. त्यजेत् क्षुधार्ता जननी स्वपुत्रं खादेत् क्षुधार्ता भुजगी स्वमण्डम्।
    बुभुक्षित: किं न करोति पापं क्षीणा जना निष्करूणा भवन्ति॥


  274. [આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યે સેંકડો વર્ષ પૂર્વે લખેલો જગતની કઠોર વાસ્તવિકતાનું નિરૂપણ કરતો આ શ્લોક આજે પણ એટલો જ આંખ ઉઘાડનારો છેઃ ભૂખના દુઃખની મારી જનેતાને ઘણી વખત પોતાનું સંતાન ત્યાગી દેવાની ફરજ પડે છે. ભૂખી થયેલી સાપણ પોતાના બચ્ચાઓને પણ ખાઈ જાય છે. ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે ? જે માણસની શક્તિ સાવ ખલાસ થઈ જાય તે નિષ્ઠુર દયાવિહોણો થઈ જાય.]

  275. त्यजेद् धर्मं दयाहीनं विद्याहीनं गुरुं त्यजेत्।
    त्यजेत् क्रोधमुखीं भार्यां निःस्नेहान् बान्धवांस् त्यजेत्॥


  276. [જેમાં દયાને સ્થાન ન હોય તેવો ધર્મ છોડી દેવો જોઈએ. જેની પાસે વિદ્યા ન હોય તેવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. સદા ક્રોધ કરતી પત્નીને છોડવી જોઈએ અને આપણા માટે સ્નેહભાવ ન ધરાવતા ભાઈને વહેતો મૂકી દેવો જોઈએ.]

  277. त्रियाचरित्रं पुरुषस्य भग्यं।
    दैवो न जानाति कुतो नरम्॥


  278. [સ્ત્રીના બાહ્ય વર્તનની પાછળ અને પુરુષના ભાગ્યની અંદર શું છૂપાયેલું છે તે દેવો પણ જાણી શકતા નથી તો સાધારણ માણસને તો ક્યાંથી ખબર પડે.]

  279. दर्शने स्पर्शणे वापि श्रवणे भाषणेऽपि वा।
    यत्र द्रवत्यन्तरङ्गं स स्नेह इति कथ्यते॥


  280. [જેના દર્શન કરવાથી, જેનો સ્પર્શ થવાથી, જેનું બોલેલું સાંભળતા કે જેને કૈંક કહેવા જતાં તમારું હ્રદય ઓગળવા લાગે ત્યારે સમજવું કે તમને તેના માટે સ્નેહના અંકુર ફૂટી ગયા છે.]

  281. दाता लघुर् अपि सेव्यो भवति न कृपणो महान् अपि समृद्ध्या।
    कूपोऽन्तः स्वादुजलः प्रीत्यै लोकस्य न समुद्रः॥


  282. [દાતા ગમે તેટલો નાનો હોય તો પણ માનને લાયક ગણાય. કૃપણ માણસ ગમે તેટલો સમૃદ્ધ હોય છતાં નકામો ગણાય. કુવો નાનો હોવા છતાં પીવા માટે મીઠું પાણી આપે છે. દરિયા પાસે ક્યારે ખૂટે નહિ તેટલો પાણીનો ભંડાર છે પણ તરસ્યાને તે ભંડાર શું કામનો ?]

  283. दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य।
    यो न ददाति न भुङ्क्ते तस्य तृतीय गतिर्भवति॥


  284. [ભર્તુહરિનું આ કથન છેઃ દાન, ભોગ અને નાશ એ ત્રણ માર્ગે જ ધન જઈ શકે છે. જે માણસ દાન ન આપે કે ઉપભોગ ન કરે તેનું ધન ત્રીજા માર્ગે જાય છે એટલે કે નાશ પામે છે.]

  285. दुर्जनः परिहर्तव्यः विद्यया अलङ्कृतोऽपि सन्।
    मणिना भूषितः सर्पः किम् असौ न भयङ्करः॥


  286. [દુર્જન માણસ પાસે વિદ્યા ને જ્ઞાનનો ભંડાર હોય તો પણ તેનાથી દૂર રહેવું. નાગની ફેણ પર મણિ હોય એટલે તે કંઈ ઓછો ભયંકર થઈ જતો નથી.]

  287. दुर्जनः प्रियवादीति नैतद्विश्वासकारणम्।
    मधु तिष्ठति जिव्हाग्रे हृदये तु हलाहलम्॥


  288. [દુર્જન માણસ મીઠી મીઠી વાત કરે એટલે તેનાપર ભરોસો મૂકી ન દેવાય કેમકે તેની જીભ પર ભલે મધ પાથરેલું હોય પણ તેના દિલમાં નકરું ઝેર જ ભરેલું હોય છે.]

  289. दुर्जनस्य च सर्पस्य वरं सर्पो न दुर्जनः।
    सर्पो दशति कालेन दुर्जनस् तु पदे पदे


  290. [દુર્જન અને સર્પ એ બન્નેમાં સર્પ વધુ સારો કેમકે સર્પ તો ક્યારેક દંશ આપે પણ દુર્જન ડગલે પગલે ડંખ્યા જ કરે.]

  291. दुर्जनेन समं सख्यं द्वेषञ्चापि न कारयेत्।
    उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम्॥


  292. [દુર્જનો સાથે દોસ્તી કે દુશ્મની કંઈ ન કરાય. કોલસો ગરમ થાય તો હાથ દઝાડે અને ઠંડો થાય તો હાથ કાળા કરે.]

  293. दुर्बलस्य बलं राजा बालानां रोदनं बलम्।
    बलं मूर्खस्य मौनित्वं, चौराणाम् अनॄतम् बलम्॥


  294. [દુબળા માણસનું બળ રાજા છે. બાળકોનું બળ રૂદન છે. મુર્ખ માણસનું બળ મૌન છે અને જુઠાણું ચોરનું બળ છે.]

  295. दुष्टस्य दण्डः स्वजनस्य पूजा
    न्यायेन कोशस्य हि वर्धनं च।
    अपक्षपातः निजराष्ट्ररक्षा
    पञ्चैव धर्माः कथिताः नृपाणाम्॥


  296. [આદર્શ રાજાની પાંચ ફરજ છે. દુષ્ટ માણસોને દંડ આપવો, પોતાના માણસોની કદર કરવી, ન્યાયપૂર્વક રાજકોષને વધુ સમૃદ્ધ બનાવવો, નિષ્પક્ષપાત વહિવટ ચલાવવો અને પોતાના રાજ્યનું રક્ષણ કરવું.]

  297. दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः।
    ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः॥


  298. [પત્ની દુષ્ટ હોય, મિત્ર ધુતારો હોય, નોકર સામું મોઢે સંભળાવનારો હોય અને સાપવાળા ઘરમાં રાત રહેવાનું હોય તો આપણો ઘડોલાડવો થઈ જ જવાનો એ વાત સો ટકા સાચી માનજો.]

  299. दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने।
    युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरत:॥


  300. [ડુંગર દૂરથી રળીયામણા લાગે. વારાંગનાનું મુખ આઘેથી સારું દેખાય. લડાઈની વાતો ફક્ત સાંભળવામાં સારી લાગે. આ ત્રણેય આઘા સારા બાકી તેમનો અનુભવ લેવા જઈએ તો ખોખરા થઈ જઈએ.]

  301. दूरस्थोऽपि न दूरस्थो यो यस्य मनसि स्थित:।
    यो यस्य हॄदये नास्ति समीपस्थोऽपि दूरत:॥


  302. [ચાણક્યે સરળ ભાષામાં કહેલું સનાતન સત્યઃ જેનું સ્થાન આપણાં હૈયામાં અવિચળ હોય તે ભલે ગમે તેટલો દૂર હોય પણ તે કદી દૂર હોતો નથી. જેને માટે આપણા હૈયામાં કોઈ સ્થાન નથી તે ભલે આપણી સામે ઊભો હોય પણ તે દૂરનો દૂર જ રહે છે.]

  303. दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिबेत्‌।
    सत्यपूतं वदेद्वाचं मनः पूतं समाचरेत्‌॥


  304. [આ પણ ચાણક્યનો ઉપદેશ છેઃ જીવનમાં દરેક પગલું જોઈ જોઈને મૂકવું. પાણી પીવું હોય તો ગાળીને પીવું. જે કંઈ બોલીએ તે સાચું છે કે નહિ તેનો વિચાર કરીને બોલવું અને જીવનમાં જે કંઈ કામ કરીએ તે આપણા મનને પૂછીને કરવા કે હું જે કંઈ કરું છું તે બરાબર છે કે નહિ.]

  305. धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च।
    आहारे व्यवहारे च त्यक्तलज्जस्सुखी भवेत्॥


  306. [ધનધાન્ય ભેગા કરવામાં, વિદ્યાપ્રાપ્તિમાં, જમવામાં અને વ્યાવહારિક બાબતોમાં જે માણસ ખોટી શરમ છોડી દે તે સુખી થાય.]

  307. धर्मो रक्षति रक्षितः।


  308. [જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે.]

  309. धिक् तस्य जन्म यो लोके पित्रा विज्ञायते नरः।
    [જે માણસ પોતાના કાર્યના લીધે નહિ પણ પિતાના નામને લીધે જાણીતો બને છે તેનો જન્મ વૃથા છે.]
બીજા વિભાગમાં જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ
પ્રસાદી વિભાગ બીજો
[મુખ્યપૃષ્ઠ]     [ટોચ]

No comments:

Post a Comment